ભારતમાં કોરોનાની વેક્સિન આગામી દિવસોમાં અપાવાનું શરૂ થઈ જશે ત્યારે સામાન્ય લોકોને થતા કેટલાક સામાન્ય સવાલોના અહીં જવાબો અપાયા છેઃ કોરોના કાળમાં આટલું તો તમારે ધ્યાન રાખવું જ પડશે
નવી દિલ્હી
ભારતમાં સરકાર દ્વારા કોરોના માટેની બે રસીને મંજૂરી આપવામાં આવી છે. એક ભારત બાયોટેકની પોતાની રસી અને બીજી ઓક્સફોર્ડ/એસ્ટ્રેઝેનેકા દ્વારા ઘર આંગણે સિરમ ઈન્સ્ટીટ્યુટ દ્વારા વિકસાવવામાં આવેલી રસીને લીલીઝંડી આપી દેવામાં આવી છે. તેમાંથી ભારત બાયોટેકની રસી ઉતાવળે આવી ગઈ છે અને તેનો ત્રીજો મહત્વનો ટ્રાયલ બાકી છે. ભારતમાં રસી આવનારા દિવસોમાં આપવાનું શરૂ થઈ જશે પણ તેની સાથે કેટલાક સવાલો લોકોને થઈ રહ્યા છે. આ સવાલો કયા છે તેની પર અહીં પ્રકાશ પાડવામાં આવ્યો છે. કેટલાક વિવાદો વચ્ચે અહીં વાચકોની સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સવાલઃ આ રસી કોણે કોણે લેવાની રહેશે?
જવાબઃ દરેક એડલ્ટ વ્યક્તિ આ રસી લઈ શકે છે. જ્યાં સુધી ડોકટર તમને કોઈ શારિરીક તકલીફને કારણે રસી લેવાની મનાઈ ન કરે ત્યાં સુધી આ રસી લઈ શકાય છે. જે મહિલાઓ પ્રેગનન્ટ છે અથવા બ્રેસ્ટ ફિડિંગ કરાવે છે તેમને ડોકટરો સૂચવે તો તે પણ આ રસી લઈ શકે છે. સૌથી પ્રથમ તો જે લોકોને કોરોના થવાનું સૌથી વધુ જોખમ છે તે લોકોએ આ રસી લેવાની રહેશે. જેમાં આરોગ્ય સેવાઓ સાથે સંકળાયેલા લોકો તેમજ પોલીસ અને અન્ય વહીવટી તંત્રનો સમાવેશ થાય છે.
સવાલઃ શું હું તે ખરીદી શકું?
જવાબઃ ભારતમાં હજુ સુધી સરકારે તેના માટે મંજૂરી આપી નથી તેથી તેને બજારમાંથી ખરીદી શકાશે નહીં. મતલબકે, મેડિકલ સ્ટોરમાં આ વેક્સિન ઉપલબ્ધ નહીં થાય. થોડો સમય જાય તે પછી જ આ વેક્સિન બજારમાં મળશે.
સવાલઃ કોરોનામાંથી સાજા થયેલા લોકોએ વેક્સિન લેવાની?
જવાબઃ જેમને કોરોના થયો હોય તે વ્યક્તિએ પણ વેક્સિન તો લેવાની રહેશે જ. કારણકે, શરીરની રોગપ્રતિકારક શક્તિ વાયરસ સામે લાંબુ ટકી ના શકે તેમ પણ બને.
સવાલઃ મને ક્યાંથી વેક્સિન મળી શકે?
જવાબઃ જનરલ પ્રેક્ટિશનરો, હોસ્પિટલો અને જ્યાં માસ વેક્સિનેશન પ્રોગ્રામ ચાલતા હોય ત્યાં જવાથી તમને કોરોનાની વેક્સિન મળી શકે છે. સરકારે આ માટે કેટલીક માર્ગદર્શિકા તૈયાર કરી છે અને તે પ્રમાણે જ વેક્સિન આપી શકાય છે. કોઈ પણ ડોકટર પાસેથી વેક્સિન લેવી હિતાવહ નથી.
સવાલઃ વેક્સિનના બે ડોઝ વચ્ચે કેટલો ગેપ રહેવો જોઈએ?
જવાબઃ અત્યારે વેક્સિનના કેટલા ડોઝ આપવાના રહેશે તે નક્કી નથી પણ ઓક્સફોર્ડ/એસ્ટ્રાઝેનેકાની વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર ચારથી 12 સપ્તાહનુ રખાયું છે. એટલે કે તમારે કાં તો એક મહિનમાં કે પછી ત્રણ મહિનામાં વેક્સિનનો બીજો ડોઝ લેવાનો રહે છે. એટલે કે ઓછામાં ઓછા એક મહિનામાં અને વધુમાં વધુ ત્રણ મહિનામાં વેક્સિનથી પેદા થયેલી રોગપ્રતિકારકતા ચાલે છે. એક અભ્યાસ પ્રમાણે જેમણે વેક્સિનનો સિંગલ ડોઝ લીધેલો છે તેઓ કોરોનાથી થતાં મોતની સંખ્યા ઓછી કરી શકે છે.
સવાલઃરસીથી અસરકારકતા કેટલી રહેશે?
જવાબઃ ટ્રાયલમાં દેખાયું છે કે એસ્ટ્રાઝેનેકા રસીની અસરકારકતા પ્રથમ ડોઝ લીધો હોયતો 22 દિવસ સુધી 73 ટકા રહી શકે છે. 12 સપ્તાહ પછી લીધેલો બીજો ડોઝ આ અસરકારકતાને 80 ટકા સુધી પહોંચાડી શકે છે. યુકેમાં આવેલી ફાઈઝરની વેક્સિન 95 ટકા અસરકારક છે.
સવાલઃવેક્સિન લીધા પછી કેટલા સમય બાદ તે એક્ટિવ થાય છે?
જવાબઃ બે સપ્તાહ પછી વેક્સિન શરીરમાં કામ કરવાનું શરૂ કરે છે.
સવાલઃ મે વેક્સિન લીધી હોય તો માસ્ક પહેરાવથી કે સોશિયલ ડિસ્ટન્સિંગથી મને મુક્તિ મળી જાય છે?
જવાબઃ ના. વેક્સિન લીધા પછી પણ તમારે અગાઉ જારી કરાયેલા તમામ નિયમોનું પાલન કરવાનું રહે છે.
સવાલઃ ભારતમાં શા માટે ઓક્સફોર્ડની રસી આવી છે, બીજી કોઈ નહીં?
જવાબઃ પૂણે સ્થિત સિરમ ઈન્સ્ટીટ્યુટે આ માટે ટાઈઅપ કર્યું હતું. ફાઈઝરની રસી કરતાં આ રસી સસ્તી છે. વધુમાં તેને ફાઈઝરની રસીની જેમ માઈનસ 70 ડિગ્રી તાપમાને રાખવાની જરૂર રહેતી નથી. પણ ફ્રીજના સામાન્ય તાપમાને રખાય છે.
સવાલઃ વેક્સિનેશન સેફ છે?
હા. ઓક્સફોર્ડની રસીનું યુકેમાં પણ પરીક્ષણ થઈ ચુક્યું છે. ભારત બાયોટેકનું ત્રીજું પરીક્ષણ બાકી છે અને સરકાર તેના અંગે જોખમ લેશે નહીં.
સવાલઃ મ્યુટન્ટ વાયરસ સામે આ રસી રક્ષણ આપશે?
જવાબઃ આ અંગેના ટેસ્ટ ચાલુ છે પણ પરિણામો કહે છે કે ફાઈઝર અને ઓક્સફોર્ડ એમ બંને રસી નવા પ્રકારના કોરોના વાયરસ સામે રક્ષણ આપે છે.
સવાલઃ શું બાળકો રસી લઈ શકે?
જવાબઃ ના. અત્યાર સુધીમાં બાળકોને કોરોનાની ગંભીર બીમારી લાગુ થઈ નથી તેથી તેના અંગે પરીક્ષણો કરાયાં નથી.
સવાલઃ હું દારૂ પીઉં છું. શું હું રસી લઈ શકું?
જવાબઃ દારૂ પીતા હોય એ લોકોએ કોરોનાની વેક્સિન લેવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે. ડો. રોન્ક્સ ઈખારિયાએ આ અંગે એક ટેસ્ટ કર્યો હતો. જેમાં તેમણે શરાબ પીનાર વ્યક્તિના બ્લડનો પહેલાંનો અને પછીનો નમૂનો લીધો હતો. ડો. રોન્ક્સના મત પ્રમાણે જો તમે ત્રણ ગ્લાસ વાઈન ગટગટાવી જાવ તો તમારી ઈમ્યુનિટી ઘટી જઈ શકે છે. તમારા બ્લડમાં રહેલા લિમ્ફોસાઈટ સેલની સંખ્યા 50 ટકા ઘટી જતી હોય છે. જો આમ થાય તો તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. આથી, જે લોકો શરાબ પીતા હોય તેમણે કોરોનાની વેક્સિન લીધી હોય તો દારૂનો ત્યાગ કરવો જ હિતાવહ છે. અન્યથા, તેમને ફરીથી કોરોના થવાની પૂરેપૂરી સંભાવના રહે છે.